22/07/2025
.પ્રણામ ૨૪/૭/૨૫ ના ગુરુવાર ને અષાઢ વદ અમાસ ના
આપણા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ( પૂ. શ્રી સાગરજી મ. સા.) નો એકસો એકાવનમો જન્મ દિવસ છે. 🙏નમો નમઃ શ્રી ગુરુ સાગરાનંદ સૂરયે.🙏
:પરમ પૂજ્ય આગમોધ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના જન્મ દિવસ નિમિત્તે ગુણ સ્તવના:
જન્મ દિવસ : સં.૧૯૩૧,અષાઢ વદ અમાસ
અમાસ ના દિવસે પૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો.
જન્મ ભૂમિ..કપડવંજ
સંસારી નામ: શ્રી હેમચંદ
પિતાશ્રીનું નામ: શ્રી મગનભાઈ
માતુશ્રીનું નામ:શ્રીમતી જમનાબેન
બાળપણથી જાણે યોગી,વૈરાગી મહાપુરુષ,
નિર્ભીક પણ એવા જ.. બાળ સહજ ચેષ્ટાથી શેરીનું ફાનસ કોઇકથી તૂટ્યું તો અન્ય સખાઓ ડર ના માર્યા ભાગી ગયા.પોતે નિર્ભયપણે ત્યાજ રહ્યા અને સિપાઈનો સામનો કરે છે.
વ્યવહાર કુશળતા પણ તીવ્ર.
સં.૧૯૪૭ ના મહા વદ પાંચમ,લીમડી મુકામે પ.પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.સા.ને ગુરુ પદે સ્થાપી દિક્ષા ગ્રહણ કરી અને બસ ગુરુજીની આજ્ઞાને સમર્પિત થઈ ગયા.પૂજ્ય ગુરુ મ.સા.સાથેનો આ ભવ પૂરતો નાતો બહુ મર્યાદિત હતો.લગભગ ૬ માસના અંતરે પૂ.ગુરુદેવ અચાનક બિમાર થયા. લાગ્યુ કે અંત સમય આવી ગયો છે.ત્યારે પૂ.ગુરુદેવે મસ્તકે પ્રેમાળ હાથ પ્રસારી કહ્યું,
"બેટા, આગમો કા ધ્યાન રખના"
અને ભાવિમાં થનારા શ્રી આગમોદ્ધારક સૂરિજીના બીજ રોપાયા.
એક દિવસ પૂ શ્રીએ મધ્યમાં ભગવાનની સ્થાપના કરી.પ્રદક્ષિણા આપી, વાચના,સ્વાધ્યાય માટેના આદેશ માંગ્યા.અને સમ્યક્ જ્ઞાનની ધૂણી ધખાવી.વ્યાકરણ,સાહિત્ય,આગમ,આદિનો અભ્યાસ શરૂ કર્યો.પરિણામે પાયાથી ઘડતર થવા માંડ્યું.શ્રી આગમના રહસ્યો,ગંભીરતા એવા ઉંડાણ થી ધારવા લાગ્યા.
ત્યાર પછી જ્ઞાનની અવિરત સાધના વધુ ગતિમાન થઈ. પ.પૂ.શાસનસમ્રાટ સૂરિજી સંગાથે પણ અનેક ચાતુર્માસ કર્યા.અને જાણે તે પ્રેમને ચિરંજીવ સ્મૃતિમાં રાખવા પોતાના પ્રથમ શિષ્યનું નામ પણ " પૂ. મુનિ શ્રી વિજય સાગરજી " રાખ્યું.સાગર અને વિજયનો સમન્વય કર્યો.
સં.૧૯૭૪ ના વૈશાખ સુદ ૧૦ ના શુભ દિવસે સુરતના સમસ્ત શ્રી સંઘના અતિ આગ્રહ થી પૂ.આચાર્ય ભગવંત શ્રી કમળ સૂરિજી મ.સા.ના વરદ હસ્તે આચાર્ય પદ ગ્રહણ કર્યું.સરસ તો એ વાત હતી કે તે સમયે કોઈક કારણસર શ્રી સંઘમાં તીવ્ર મતભેદ હતો.અને તેનું નિવારણ પણ પૂ.શ્રી એ કર્યું.
વર્ષોથી માંગલિક રહેલી શ્રી આગમ વાચનાને પુનઃ જીવન આપ્યું.એક નહિ,બે નહિ સાત આગમ વાચના ફરમાવી.તે સમયના અનેક પૂજ્યશ્રીઓ અને ધુરંધર પંડિતો/ શ્રાવકો/ શ્રાવિકાઓ આ વાચનાઓથી અત્યંત પ્રભાવિત થયા.ઇતિહાસમાં આ વાચનાઓ ની નોંધ લેવાઈ છે.
શ્રી શત્રુંજયની યાત્રા પર પાલીતાણા ઠાકોર બૂરી નજરે જોતાં.અને આવકનું સાધન બનાવ્યું.તે સમયે પૂજ્યશ્રી અને પૂ. શાસનસમ્રાટશ્રી ઉભય સાથે રહી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢ્યો.અને શ્રી સંઘ પુનઃ યાત્રા કરવા સદભાગી બન્યો.
સં.૧૯૯૦ નું સંમેલન.ઇતિહાસનું સરસ પ્રકરણ.અનેક શાસ્ત્રીય પ્રશ્નો અને સમસ્યા માટે પૂ.શ્રીએ માર્ગ માર્ગદર્શન આપ્યું.
શેઠ શ્રી માકુભાઈ શેઠ તથા શેઠશ્રી પોપટભાઈ ધારશી ના સંઘ પૂ.શ્રી ના પ્રભાવને દર્શાવે છે.
પૂ.શ્રી એ શ્રી સિદ્ધાચલ તીર્થ મધ્યે શ્રી ગિરિરાજની તળેટી માં દેવવિમાન જેવા શ્રી જિનાલયની સ્થાપના કરી.અને સંગેમરમર પર શ્રી આગમને અંકિત કરી ચિરંજીવ કર્યા. સં ૧૯૯૯ નો મહા વદ પાંચમ નો એ શુભ દિવસ હતો. પૂજયશ્રીની પ્રધાન નિશ્રા હતી.સંગાથે અન્ય ત્રણ પ.પૂ.આચાર્ય ભગવંત હતા.અને એક સાથે લગભગ ૨૫૦૦ પ્રતિમાજી ની અંજનશલાકા વિધિ કરી હતી.
સુરત જ્યારે પુનઃ પધાર્યા ત્યારે સંઘે અભૂતપૂર્વ સ્વાગત કર્યું.સવારે લગભગ નવ વાગ્યે પ્રારંભ થયેલું સામૈયું સાંજના લગભગ ચાર વાગ્યા સુધી થયું.સાચા ઝવેરાત, મોતીથી પૂજ્યશ્રી ને વધાવવામાં આવ્યા.આ ઘટના નું પુસ્તક પ્રસિદ્ધ થયું છે.
પૂજ્યશ્રી ની પ્રેરણાથી સં.૨૦૦૪ ના મહા સુદ ૩ ના પાવન દિવસે ગોપીપુરા,સુરત મધ્યે ૧૨૦ પ્રતિમાજીથી શોભતા " શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમ મંદિર" ની સ્થાપના કરી.
પૂજ્યશ્રીએ શ્રી આગમનો ઉદ્ધાર કર્યો.વર્ષોથી ભંડારમાં રહેલા જીર્ણ,પીળા થઈ ગયેલા શ્રી આગમ સૂત્રોને વ્યવસ્થિત કર્યા. પ્રમાર્જન કરી ખૂટતા પાઠ,શબ્દો મૂક્યા.જ્ઞાનનો પ્રસાર ,પ્રચાર અને પ્રકાશન કરતી અનેક સંસ્થાની સ્થાપના કરી..શ્રી આગમમંજુષા નું નિર્માણ કરી અનેક સ્થળે પધરાવી...સાહિત્ય,નિબંધ,ગંભીર શાસ્ત્રોની રચના કરી.આમ આજે જે પણ વ્યવસ્થિત શ્રી આગમ સૂત્રો પ્રાપ્ત થાય છે તેના પાયામાં પૂ.શ્રી છે.
આ ઉપરાંત પૂ.શ્રીએ શ્રી કેશરિયાજી,શ્રી અંતરિક્ષજી,શ્રી સમેતશીખરજી ,આદિ અનેક તીર્થોની રક્ષા કરી અને કરાવી તીર્થોદ્ધારક પણ બન્યા.આમ સારું જીવન શ્રી આગમને સમર્પિત રહ્યું.
બાળ દિક્ષાએ શાસ્ત્ર સિદ્ધ સત્ય છે અને તે પૂર્ણ રૂપે યોગ્ય અને પ્રભાવકારી છે એવું એમને સિદ્ધ કર્યું.તેના પ્રતાપે અનેક બાળ શ્રમણ/ શ્રમણી ભગવંત શાસનને પ્રાપ્ત થયા.
આવા અનેક શકવર્તી અનુષ્ઠાન અને ઇતિહાસ નું સર્જન કર્યું.પણ ક્યાંય પણ ચારિત્ર જીવનને દૂષણ નહિ લાગે તેની પૂર્ણ કાળજી રાખી.શ્રી આગમ સંશોધન કરતી વખતે
૧..ખડિયા ની સહિ રોજ ગાળતા.
૨..વહેલી પ્રભાતે હસ્ત રેખા
દર્શનીય બને પછી જ શ્રી આગમ સૂત્ર હાથમાં ધારતા.તે પ્રમાણે સંધ્યાના સમયે હસ્ત રેખા દેખી નહિ શકાય ત્યારે શ્રી આગમ ગ્રંથ સ્થાન પર પધરાવી દેતા.
૩..ક્યાંક ફૂટ નોંધ કરવા કાગળની જરૂર થાય તો વર્તમાન પત્ર ની કોરી કોલમ વાપરતા.આજે અનેક ચીઠ્ઠી સુરતના શ્રી જૈનાનંદ પુસ્તકાલયમાં છે,જેના પર અતિ આવશ્યક નોંધ લખી છે.
આવી અપ્રતિમ શાસન સેવા અને સમ્યક્ દર્શન,જ્ઞાન,ચારિત્ર,તપ ની આરાધનાના પ્રભાવે
કળશ સ્વરૂપ અંતિમ ૧૫ દિવસનું અર્ધપદ્માસન મુદ્રામાં બિરાજી કરેલું ધ્યાન એ આજના સમયમાં અજોડ હતું.
અને સં.૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ના દિવસે ગોપીપુરા લીમડા ઉપાશ્રયમાં અતિ સમાધિપૂર્વક અંતિમ શ્વાસ લીધા.સારા જગતમાં શોક છવાયો.પણ પૂ.શ્રી અમર બની ગયા....
વળતે દિવસે જે સ્મશાનયાત્રા નીકળી એ પણ અજાયબી ભરી હતી.લગભગ ૧૦૦ વ્યક્તિ ઉઠાવી શકે એવી વિશાલ, જરિયાન પાલખી બનાવવામાં આવી હતી.કેટલા મણ સુખડ,ચંદન,ઘી ની આહુતિ આપી હતી.
વીસમાં સૈકાના આવા મહાપુરુષને આજના જન્મ દિવસે અનંત વંદના.