01/07/2024
દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET)ના ૨૪ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના ભવિષ્યની સાથોસાથ NEETની વિશ્વસનીયતા સામે ઉભા થયેલા પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે NEET ના પરિણામોમાં ભારે ગેરરીતિ થયાની સંભાવના છે. 24 લાખ યુવાનો અને તેમના માતા-પિતામાં ભારે બેચેની છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) કે કેન્દ્ર સરકાર વિવાદો, આશંકાઓ અને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. વિદ્યાર્થી-વાલીઓના પ્રશ્નોના જવાબ આપવાથી ભાગી રહી છે. NEET પરીક્ષામાં 67 ઉમેદવારોએ 720/720 માર્ક્સ મેળવ્યા હતા એટલે કે 100 ટકા સ્કોર. પરંતુ પાછલા વર્ષોમાં ટોપર્સ જોઈએ તો. વર્ષ 2019માં 1 ટોપર, વર્ષ 2020માં 1 ટોપર, વર્ષ 2021માં 3 ટોપર્સ, વર્ષ 2022માં 1 ટોપર, વર્ષ 2023માં 2 ટોપર્સ અને વર્ષ 2024માં 67 ટોપર્સ આ પોતે જ 'અશક્ય' લાગે છે, કારણ કે NEET પેપરમાં દરેક ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ હોય છે. શું એવું બની શકે કે 67 લોકોએ 100 ટકા સાચા જવાબો આપ્યા? આ એક સંયોગ છે કે પ્રયોગ? NEET ના 67 ટોપર્સમાંથી, 44 ટોપર્સ એવા છે કે જેઓ 'ગ્રેસ માર્ક્સ'ના આધારે ટોપર્સ બન્યા છે. ત્યારે શું તે પોતે જ "માર્કિંગની પ્રક્રિયા" અને "પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અને માન્યતા" પર પ્રશ્નો ઉભા કરતું નથી?
બીજી આશ્ચર્યજનક બાબત એ છે કે 62 થી 69 સીરીયલ નંબર સાથે NEET ટોપર્સ ફરિદાબાદ, હરિયાણાના સમાન "પરીક્ષા કેન્દ્ર"માંથી આવે છે. તેમાંથી 6 લોકોએ 720/720 માર્ક્સ સાથે NEETમાં ટોપ કર્યું અને 2ને 720 માર્કસમાંથી 718 અને 719 માર્ક્સ મળ્યા. આ પોતે એક 'અજાયબી' છે અને 'આશ્ચર્યજનક' પણ છે, પરંતુ NTA અને કેન્દ્ર સરકાર તેને યોગ્ય ઠેરવી રહી છે. શું સામાન્ય વ્યક્તિ આને સંયોગ ગણશે કે ભાજપનો પ્રયોગ? NTA દ્વારા 'ગ્રેસ માર્ક્સ' અપાયા. પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે “NTA પ્રોસ્પેક્ટસ”, “NEET બ્રોશર” અને “સરકારી સૂચનાઓ”માં આ આધારે ગ્રેસ માર્ક્સ આપવાની કોઈ જોગવાઈ નથી, તો પછી આ ગ્રેસ માર્ક્સ કયા આધારે આપવામાં આવ્યા? શું કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેર નોટિસ કે જાહેરાત જારી કરવામાં આવી હતી? શું અન્ય કોઈ કેન્દ્રમાં સમાન રીતે ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા?
NEET પરીક્ષા 5 મે, 2024 ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ 14 જૂન, 2024 ના રોજ જાહેર થવાનું હતું. ત્યારબાદ અચાનક પરિણામ 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું. આ એ જ દિવસ હતો જ્યારે દેશની સંસદીય ચૂંટણીના પરિણામો આવ્યા અને આખો દેશ લોકસભા ચૂંટણીના પરિણામો સાંભળવામાં વ્યસ્ત હતો. શું NEETનું આ પરિણામ ઉતાવળમાં બહાર પાડવામાં આવ્યું હતું જેથી બધી આશંકાઓ અને વિવાદોને ઢાંકી શકાય? આ એક સંયોગ છે કે પ્રયોગ?
NTAની આ કઈ પ્રકારની NEET પરીક્ષા પદ્ધતિ છે, જે સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે અને નાના બાળકો આત્મહત્યાના ખતરનાક માર્ગે શરૂ થઈ ગયા છે? શું કેન્દ્ર સરકાર પાસે કોઈ જવાબ છે? પ્રશ્ન 24 લાખ બાળકોના ભવિષ્યનો પણ છે. પ્રશ્ન NEET પરીક્ષાની વિશ્વસનીયતાનો પણ છે. પ્રશ્ન ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સમાન તક આપવાનો પણ છે. પ્રશ્ન આશંકાઓ અને વિવાદોથી ઉપર ઉઠવાનો અને જવાબદારી નક્કી કરવાનો પણ છે. ન્યાયનો પણ પ્રશ્ન છે. કેન્દ્ર સરકારે સવાલોના જવાબ આપવા પડશે.
બાળકોના ભવિષ્ય સાથે કૌભાંડીઓ રમત રમે છે. ગુજરાતમાં ગોધરા પરીક્ષા કેન્દ્ર પર પેપર લખવાનું કૌભાંડ બહાર આવ્યું. ઘણી શાળાઓમાં આવી રીતે બારોબાર પેપર લખાય છે તેવી ફરિયાદો સામે આવી છે. સુનિયોજિત રીતે લાખો રૂપિયા આપીને ગોઠવણ કરનારા સંચાલકો, કલાસના સંચાલકો, એજન્ટો સહીતના મોટા માથા સામે પગલા લેતા કોણે રોકી લીધા ? ભાજપ સાથે સંકળાયેલા હોવાથી બચાવવા માટે કારસો રચાયો. પેપર લીક કરનારા માફિયાને રાજકીય રક્ષણ કેમ ? માલેતુજારના સંતાનોને ડોક્ટર બનાવવા આ કૌભાંડ થઇ રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ ભાજપ સરકારે આપવા પડશે.